સોમનાથ મંદિરને લૂંટવા જ્યારે ગઝનીથી મહમૂદ નીકળ્યો
સોમનાથ મંદિરને લૂંટવા જ્યારે ગઝનીથી મહમૂદ નીકળ્યો જ્યારે ગુર્જરભૂમિનો સુવર્ણકાળ ગણાતા સોલંકીઓના યુગના હજુ મંડાણ જ થયા હતા.અગિયારમી સદીનો આરંભ હતો અને સૌરાષ્ટ્રનો મધ્ય, પશ્ચિમ અને ઉત્તરનો ભાગ હજુ સોલંકીઓની સત્તા હેઠળ આવ્યો નહોતો પણ સૌરાષ્ટ્રના દક્ષિણકિનારે એમની આણ વર્તાવા લાગી હતી. સૌરાષ્ટ્રનો દક્ષિણ કિનારો ખૂબ ફળદ્રુપ તથા સમૃદ્ધ હતો અને એ વખતની દુનિયા સાથેના વેપારનું ત્યાં કેન્દ્ર હતું. સોમનાથ-પાટણ જેવું તીર્થ તરીકે પ્રસિદ્ધ હતું એવું જ વિશ્વમાં સમૃદ્ધ બંદર અને વેપારી મથક તરીકે પણ જાણીતું હતું. સોમનાથની સમૃદ્ધિ જેટલી ધર્મસ્થાન તરીકે હતી એટલી જ વેપારથી પણ હતી અને રાજા-મહારાજાઓ સોમનાથમાં આવી વિસામો ખાવાનું પસંદ કરતા હતા.એ વખતે સોમનાથમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીના અને છેક આસામ જેવાં દૂરદૂરનાં સ્થળોથી યાત્રાળુઓ આવતા અને ચીન તથા અરબસ્તાનનાં વહાણો લાંગરાતાં. સોમનાથ મંદિરના પુનરુદ્ધાર વખતે આધારભૂત સંશોધન કરનારા ઇતિહાસવિદ્ રત્નમણિરાવ ભીમરાવે પોતાના પુસ્તક 'પ્રભાસ-સોમનાથ'માં સોમનાથની જાહોજલાલીનું વર્ણન કરતાં ઉપરોક્ત દાવો કર્યો છે.લેખકના મતે 'કોઈ પણ વિધર્મી લૂંટારાને લલચાવા સોમનાથન...